પાણીની પારાયણ:લાખણી તાલુકામાં કેનાલમાં પાણી નહીં છોડાતાં ખેડૂતો દ્વારા આંદોલનનાં એંધાણ

 


વડગામમાં ભાજપના પ્રદેશ પ્રમુખે સુજલામ સુફલામમાં પાણીની જાહેરાત કર્યા બાદ પાણી નહી આવતાં ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની હાલત પણ કફોડી થવા પામી છે. આથી તેમનામાં પણ કચવાટની લાગણી પ્રસરી રહી છે. બીજી બાજુ આગામી દિવસોમાં દિયોદરમાં યોજાનાર જળઆંદોલનના કાર્યક્રમને લઇને લાખણી તાલકામાં પણ સળવળાટ થવા પામ્યો છે. થરાદ પંથકના પુર્વ પટ્ટાના 97 ગામો સિંચાઇના પાણથી વંચિત છે. આ ગામો નર્મદાના કમાન્ડ એરીયામાં આવતા ન હોવાથી સમગ્ર લાખણી તાલુકા સહિત બંન્ને તાલુકાનાં ગામોના ખેડુતોને ભુગર્ભ જળરિચાર્જ થવા અને સિંચાઇ માટે એકમાત્ર વિકલ્પ સુજલામ સુફલામ કેનાલ છે. પરંતુ તેમાં પણ રાજકીય લાભ ખાંટવા સિવાય પાણી છોડવામાં આવતું નથી અને આવે છે તો લાખણીથી આગળ વધતું નથી. પરિણામે થરાદ અને લાખણીના ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તી રહી છે. તેમાં પણ મહિલાઓને આગળ કરીને ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ ન કરે તે માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડગામમાં સુજલામ સુફલામમાં પાણી છોડવાની જાહેરાત કર્યા બાદ, માત્ર નર્મદા નહેરમાં ગણતરીના દિવસો પુરતું છોડીને બંધ કરી દિધું હતું. પરંતુ સુજલામ સુફલામમાં છોડાયું ન હતું. આથી ખેડૂતો દ્વારા જળ આંદોલન કરવામાં આવી રહ્યું છે. કાંકરેજના ચાંગામાં આમ આદમી પાર્ટી બાદ આગામી અખાત્રીજના દિવસે દિયોદરમાં પણ કાર્યક્રમ યોજનાર છે. જેમાં બહોળી સંખ્યામાં જોડાવા લાખણીના ગેળામાં રવિવારે ખેડુતોની બેઠક યોજાઇ હતી. જેમાં ‘પાણી નહી તો વૉટ નહી’ ના સુત્રોચ્ચાર સાથે સુજલામ સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતો આકરાપાણીએ થતાં અખાત્રીજના દિવસે ધરતીપુજન કરી, પાણી નહિ અપાય તો ચૂંટણી બહિષ્કારનો મક્કમ નિર્ધાર માટે બહોળી સંખ્યામાં દિયોદર પ્રાંત કચેરી આવેદનપત્ર સાથેના જળઆંદોલનમાં જોડાવવાની રણનિતી તૈયાર કરવામાં આવી હતી. બીજી બાજુ ભાજપ પ્રમુખે જાહેરાત કરવા છતાં પણ પાણી નહીં આવતાં આગામી વિધાનસભાની તૈયારીઓમાં લાગેલા ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોના જનસંપર્ક કાર્યક્રમોમાં પ્રજા કાન આંમળવાનો મોકો નહી ચુકતાં તેઓ પણ કોઇ જવાબ આપી શકતા ન હોવાનો કચવાટભર્યો ગણગણાટ ચર્ચાસ્પદ બન્યો છે.