જામનગર
WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે જામનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયલોટ બંગલે પહોંચી જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. વડાપ્રધાન મોદીએ જામનગરમાં જામસાહેબ સાથે મુલાકાત કરીને ટ્વિટ કરીને જણાવ્યુ કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો. જામનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાને બપોરનું ભોજન સર્કિટ હાઉસમાં લીધું હતું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્રએ સર્કિટ હાઉસમાં જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે, આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ છે. ઉલ્લેખનીય છે કે, WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું.

