ઈસ્લામાબાદ
પાકિસ્તાનના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. નેશનલ અસેમ્બલીમાં વોટિંગ બાદ ઈમરાન ખાનની સરકાર રહેશે કે નહીં તે નક્કી થવાનું છે. પાકિસ્તાનની સંસદમાં કુલ સાંસદોની સંખ્યા 342 છે. ઈમરાન ખાને ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે 172 વોટ મેળવવાના રહેશે. જોકે ઈમરાન ખાનને હાલ 142 સાંસદોનું જ સમર્થન મળેલું છે. આ તરફ વિપક્ષ પોતાના સાથે 199 સાંસદો હોવાનો દાવો કરી રહ્યું છે.
શાહબાજ શરીફે સ્પીકર પર સાધ્યું નિશાન
વિપક્ષ નેતા શાહબાજ શરીફે જણાવ્યું કે, ઈમરાને મુલ્કનું ધ્યાન ન રાખ્યું. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર કાર્યવાહી થવી જોઈએ. ઈમરાને પાકિસ્તાનનું ભવિષ્ય બરબાદ કરી દીધું. વધુમાં સ્પીકર પર નિશાન સાધતા કહ્યું કે, આજે બંધારણ સાથે ઉભા રહો.
શરીફે જણાવ્યું કે, 'હું વિપક્ષને સલામ કરૂં છું. પાકિસ્તાનના બંધારણનું ઉલ્લંઘન થયું છે.' આ દરમિયાન સ્પીકર અને શરીફ વચ્ચે વિવાદ થયો હતો અને સ્પીકરે ષડયંત્ર રચાયું હોવાની વાત કરી તો શરીફ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ સૌને ખુલ્લા પાડશે તેમ કહ્યું હતું.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના 3 એપ્રિલના નિર્ણયને ફગાવી દીધો હતો. તેમાં વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અને બાદમાં વિધાનસભા ભંગ કરવાને રદ્દ કરવામાં આવ્યું હતું. આજના વોટિંગ પહેલા વિપક્ષે એક બેઠક યોજી હતી. ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ પણ સંસદ ભવન પહોંચી હતી.
