પાલનપુર
પાલનપુર શહેર સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે શનિવારે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવશે જ્યાં ઠેરઠેર મંદિરોમાં મંત્રોચ્ચાર સાથે હવન પૂજા-પાઠ કરવામાં આવશે.જ્યાં ભાવિ ભક્તો હવનમાં જોડાશે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ કંથેરિયા હનુમાન મંદિર, રોકડીયા હનુમાન, કાળા હનુમાન, વિજય હનુમાન મંદિર ખાતે શનિવારે સવારે હવન પાઠપૂજા કર્યા બાદ વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ જય શ્રી અંબે સેવા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં તમામ જનતાને જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ગઠામણ દરવાજા, હનુમાનજી મંદિરથી નીકળી, સંજયચોક, સિમલા ગેટ, રેલવેસ્ટેશન, પાતાળેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, અમીરરોડ, સિટીલાઇટ રોડ, ગુરુનાનક ચોક, જૂનાગંજ સુરેશ મહેતા ચોક થઇ નિજ મંદિર ફરશે.
થરાદ નગરમાં આવેલા બળીયા હનુમાન મંદિર દૂધ ડેરીની સામે 11 ફૂટના હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર વર્ષે જન્મદિનની ચિત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાન મંદિરના પૂજારી દ્વારા સુંદર યજ્ઞનું આયોજન થાય છે તેમજ હોકાવાળા હનુમાનજી મંદિરે પણ દસ બાર વષૅથી હવન યોજાય છે તેમજ લાખણીમાં આવેલ સુપ્રસિદ્ધ ગેળા હનુમાન મંદિરે આજના દિવસે હવન યોજાશે.
જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવશે. અને દાંતાના હડાદ માર્ગ પર અંતિમધામની સામે આવેલ પ્રાચીન અને સ્વંયમભુ પ્રગટ થયેલ બાલાજી હનુમાન મંદિરે પ્રતિ વર્ષની જેમ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
