ગુજરાત
મા બહુચરના આંગણે ભરાનાર ત્રિ-દિવસીય મેળાનો શુભારંભ ૧૪મી એપ્રિલથી થવા પામ્યો છે. બહુચરાજી અને શંખલપુર ભાવિકભક્તો અને પગપાળા સંઘોનું આગમન માતાજીના ધામમાં શરૃ થઈ ચુક્યું છે. બહુચરાજીને જોડતાં રસ્તાઓ ચેતનવંતા બનવા લાગ્યા છે. પગપાળા આવતા માઈભક્તોની સેવા માટે સેવાભાવીઓ કેમ્પો લગાવી રહ્યા છે. વહીવટીતંત્ર મેળાની સફળતા માટે અંતિમ ચરણ તરફ ગતિ કરી ચુક્યું છે.
માતાજીના દર્શનાર્થે આવનાર માઈભક્તો શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની કાયદો અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દાતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી માતાજીના ધામમાં આવનાર દરેક શ્રધ્ધાળુઓને ઠંડુ પાણી, લીંબુ શરબત, ઠંડી છાશ, ગરમા ગરમ ચા-નાસ્તો અને પુનમના દિવસે વિનામૂલ્યે જમવાની સગવડ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટે દર્શન વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પગરખા કેન્દ્ર, વિસામાની વ્યવસ્થા, લાઈટ ડેકોરેશન અને મંદિર શણગાર, સફાઈ વ્યવસ્થા, અવાજનું પ્રદૂષણ વ્યવસ્થા, આરોગ્ય સેવા, મંદિર નિયંત્રણ કેન્દ્ર, ભેટ કેન્દ્ર, મેળાનું જીવંત પ્રસારણ, સાંસ્કૃતિક કાર્યક્ર માટે અને માતાજીના ચાચરચોકમાં મંડપ ડેકોરેશન માટેની લગભગ તૈયારીઓ પુરી થઈ ચુકી છે. ચૈત્રી પૂનમના મેળાના પ્લોટની સૌથી ઉંચી બોલી બોલનાર કોન્ટ્રાક્ટરને ૧૪,૨૫,૦૦૦ રૃ.માં મેળાનો મુખ્ય પ્લોટ આપવાનો નિર્ણય મેળા સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.
