- મોરીલાથી જાન લઇને ઇઢાટા ગામે જતાં કારચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત...
- ચાર જાનૈયાઓને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા..
થરાદ-ડીસા હાઇવે પર ગુરુવાર વહેલી સવારે જાનૈયાની કારને અક્સ્માત સર્જાતાં વરરાજાના પિતરાઇ કાકાનું મોત નિપજ્યું હતું. ચારને ઇજા થઈ હતી. પીઆઇએ ઘટના અંગે પોલીસ દફતરે નોંધ નહી હોવાનું જણાવ્યું હતું. થરાદના મોરીલા ગામેથી થરાદના ઇઢાટા ગામે પરણવા માટે વરરાજાની જાન થરાદ તરફ આવી રહી હતી. દરમિયાન થરાદ-ડીસા હાઇવે પર મલુપુર ગામની સીમમાં ભારત ગેસના ગોડાઉન નજીક એક અલ્ટો કારચાલકે કાબુ ગુમાવતાં કાર રોંગ સાઇડમાં ફંગોળાઇને બાવળોની ઝાડીમાં પલટી ખાઇ જવા પામી હતી. આથી વરરાજાના કુંટુંબી કાકા કેશાભાઇ માધાજી બ્રાહ્મણ (બાકળીયા) (ઉ.વ.આ.42, રહે.ભલાસરા,તા.થરાદ) નું સારવાર અર્થે ખસેડાતાં કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલક ઇશ્વરભાઇ સહિત ચારને ઓછાવત્તી ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઇજાગ્રસ્તો
1. મુકેશભાઇ માવજીભાઇ બ્રાહ્મણ (બાકળીયા)(ઉં.18,રહે.ભલાસરા)
2.નરેશભાઇ ઓજેરામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.38,રહે.ભલાસરા)
3.રમેશભાઇ ગંગારામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.28,રહે.મોરીલા,તા.થરાદ)
4.ઇશ્વરભાઇ કાશીરામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.26,રહે.નાનોલ)