થરાદ-સાંચોર હાઇવે પર કાર અને બોલેરો વચ્ચે જાણદી ગામના પાટિયા નજીક અકસ્માત

 


થરાદ-સાંચોર હાઇવે પર કાર અને બોલેરો વચ્ચે જાણદી ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાતાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી.અકસ્માતમાં ઇજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લવાયા હતા. મંગળવારના સાંજના સુમારે થરાદ-સાંચોર હાઇવે પર આવેલા જાણદી ગામના પાટિયા નજીક એક કાર અને બોલેરો જીપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આથી બંને વાહનોમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. આ અંગે થરાદ 108ને જાણ કરાતા પાયલોટ અમરાભાઇ ધુમડા અને ઇએમટી રમેશભાઇ પરમાર સ્થળ પર દોડી આવ્યા હતા. જેમણે ઇજાગ્રસ્ત નથાભાઇ પ્રજાપતિ (ઉં.વ.30, રહે.ખાનપુર,તા.થરાદ) અને પ્રવીણસિંહ રાઠોડ (ઉં.વ.25,રહે. નાગલા,તા.થરાદ) ને પ્રાથમિક સારવાર સાથે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. તેઓને ઈજાના કારણે ત્રણ ટાંકા લેવા પડયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાલા રોડની કામગીરીના કારણે આગળથી આવતા વાહનો દેખાતા ન હોવાથી જાણદી ગામ નજીક પણ અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે.